10-12-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - ચેરિટી બિગન્સ એટ હોમ અર્થાત્ પહેલાં સ્વયં આત્મ - અભિમાની બનવાની મહેનત કરો પછી બીજાઓ ને કહો , આત્મા સમજીને આત્મા ને જ્ઞાન આપો તો જ્ઞાન - તલવાર માં જૌહર ( તાકાત ) આવી જશે”

પ્રશ્ન :-
સંગમયુગ પર કઈ બે વાતો ની મહેનત કરવાથી સતયુગી તખ્ત નાં માલિક બની જશો?

ઉત્તર :-
૧. દુઃખ-સુખ, નિંદા-સ્તુતિ માં સમાન સ્થિતિ રહે - આ મહેનત કરો. કોઈ પણ કાંઈ ઉલ્ટું-સુલ્ટું બોલે, ક્રોધ કરે તો તમે ચુપ થઈ જાઓ, ક્યારેય પણ મુખ ની તાળી ન વગાડો. ૨. આંખો ને સિવિલ (પવિત્ર) બનાવો, ક્રિમીનલ આંખો (કુદૃષ્ટિ) બિલકુલ સમાપ્ત થઈ જાય, આપણે આત્મા ભાઈ-ભાઈ છીએ, આત્મા સમજીને જ્ઞાન આપો, આત્મ-અભિમાની બનવાની મહેનત કરો તો સતયુગી તખ્ત નાં માલિક બની જશો. સંપૂર્ણ પવિત્ર બનવા વાળા જ ગાદીનશીન બને છે.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકો સાથે વાત કરે છે, આપ આત્માઓ ને આ ત્રીજું નેત્ર મળ્યું છે જેને જ્ઞાન નું ત્રીજું નેત્ર પણ કહેવાય છે, એનાથી તમે જુઓ છો પોતાનાં ભાઈઓ ને. તો આ બુદ્ધિ થી સમજો છો ને કે જ્યારે આપણે ભાઈ-ભાઈ ને જોઈશું તો કર્મેન્દ્રિયો ચંચળ નહીં થશે. અને આમ કરતાં-કરતાં આંખો જે ક્રિમીનલ છે તે સિવિલ થઈ જશે. બાપ કહે છે વિશ્વ નાં માલિક બનવા માટે મહેનત તો કરવી પડશે ને? તો હમણાં આ મહેનત કરો. મહેનત કરવા માટે બાબા નવાં-નવાં ગુહ્ય પોઈન્ટ્સ (વાત) સંભળાવે છે ને? તો હમણાં પોતાને ભાઈ-ભાઈ સમજીને જ્ઞાન આપવાની આદત પાડવાની છે. પછી આ જે ગવાય છે કે - “વી આર ઓલ બ્રધર્સ” (આપણે બધા ભાઈઓ છીએ) - આ પ્રેક્ટિકલ થઈ જશે. હમણાં તમે સાચાં-સાચાં બ્રધર્સ છો કારણકે બાપ ને જાણો છો. બાપ આપ બાળકો ની સાથે સર્વિસ કરી રહ્યાં છે. હિંમતે બાળકો મદદે બાપ. તો બાપ આવીને આ હિંમત આપે છે સર્વિસ (સેવા) કરવાની. તો આ સહજ થયું ને? તો રોજ આ પ્રેક્ટિસ કરવી પડશે, સુસ્ત (આળસુ) ન થવું જોઈએ. આ નવાં-નવાં પોઈન્ટ્સ બાળકો ને મળે છે, બાળકો જાણે છે કે આપણને ભાઈઓ ને બાબા ભણાવી રહ્યાં છે. આત્માઓ ભણે છે, આ રુહાની નોલેજ છે, આને આધ્યાત્મિક જ્ઞાન કહેવાય છે. ફક્ત આ સમયે રુહાની નોલેજ, રુહાની બાપ પાસે થી મળે છે કારણ કે બાપ આવે જ છે સંગમયુગ પર જ્યારે સૃષ્ટિ બદલાય છે, આ રુહાની નોલેજ મળે પણ ત્યારે છે જ્યારે સૃષ્ટિ બદલવાની છે. બાપ આવીને આ જ તો રુહાની નોલેજ આપે છે કે પોતાને આત્મા સમજો. આત્મા અશરીરી આવ્યો હતો, અહીં પછી શરીર ધારણ કરે છે. શરુઆત થી હમણાં સુધી આત્માએ ૮૪ જન્મ લીધાં છે. પરંતુ નંબરવાર જે જેમ આવ્યાં હશે, તે તેમ જ જ્ઞાન-યોગ ની મહેનત કરશે. પછી જોવામાં પણ આવે છે કે જેમ જેમણે કલ્પ પહેલાં જે પુરુષાર્થ કર્યો, મહેનત કરી તે હમણાં પણ એવી જ મહેનત કરતા રહે છે. પોતાનાં માટે મહેનત કરવાની છે. બીજા કોઈ માટે તો નથી કરવાની હોતી. તો પોતાને જ આત્મા સમજીને પોતાની સાથે મહેનત કરવાની છે. બીજા શું કરે છે, એમાં આપણું શું જાય છે? ચેરિટી બિગન્સ એટ હોમ એટલે પહેલાં-પહેલાં પોતે મહેનત કરવાની છે, પછી બીજાઓ ને (ભાઈઓ ને) કહેવાનું છે. જ્યારે તમે પોતાને આત્મા સમજીને આત્મા ને જ્ઞાન આપશો તો તમારી જ્ઞાન-તલવાર માં જૌહર (તાકાત) રહેશે. મહેનત તો છે ને? તો જરુર કાંઈ ન કાંઈ સહન કરવું પડે છે. આ સમયે સુખ-દુ:ખ, નિંદા-સ્તુતિ, માન-અપમાન આ બધું થોડુંક સહન કરવું પડે છે. તો જ્યારે પણ કોઈ ઉલ્ટું-સુલ્ટું બોલે છે તો કહે છે ચૂપ. જ્યારે કોઈ ચૂપ કરી દે છે તો પછી કોઈ ગુસ્સો શું કરશે? જ્યારે કોઈ વાત કરે છે અને બીજા પણ વાત કરે છે તો મુખ ની તાળી વાગે છે. જો એકે મુખ ની તાળી વગાડી અને બીજાએ શાંત કર્યા તો ચૂપ. બસ આ બાપ શીખવાડે છે. ક્યારેય પણ જુઓ કોઈ ક્રોધ માં આવે છે તો ચૂપ થઈ જાઓ, જાતે જ તેમનો ક્રોધ શાંત થઈ જશે. બીજી તાળી વાગશે નહીં. જો તાળી થી તાળી વાગે તો પછી ગડબડ થઈ જાય છે એટલે બાપ કહે છે બાળકો, ક્યારેય પણ આવી વાતો માં તાળી ન વગાડો. ન વિકાર ની, ન કામ ની, ન ક્રોધ ની.

બાળકોએ દરેક નું કલ્યાણ કરવાનું જ છે, આટલાં જે સેવાકેન્દ્રો બન્યાં છે શેનાં માટે? કલ્પ પહેલાં પણ તો આવાં સેવાકેન્દ્રો નીકળ્યાં હશે. દેવો નાં દેવ બાપ જોતા રહે છે કે ઘણાં બાળકો ને આ શોખ રહે છે કે બાબા સેવાકેન્દ્ર ખોલું. અમે સેવાકેન્દ્ર ખોલીએ છીએ, અમે ખર્ચો ઉઠાવીશું. તો દિવસે-દિવસે એવું થતું જ જશે કારણકે જેટલાં વિનાશ નાં દિવસો નજીક આવતા જશે એટલાં પછી આ તરફ પણ સર્વિસ નાં શોખ વધતા જશે. હમણાં બાપદાદા બંને સાથે છે તો દરેક ને જુએ છે કે શું પુરુષાર્થ કરે છે? શું પદ મેળવશે? કોનો પુરુષાર્થ ઉત્તમ, કોનો મધ્યમ, કોનો કનિષ્ટ છે? તે તો જોઈ રહ્યાં છે. શિક્ષક પણ સ્કૂલ માં જુએ છે કે સ્ટુડન્ટ કયા વિષય માં ઉપર-નીચે થાય છે. તો અહીં પણ એવું જ છે. કોઈ બાળકો સારી રીતે અટેન્શન (ધ્યાન) આપે છે તો પોતાને ઊંચા સમજે છે. કોઈ સમયે પછી ભૂલ કરે છે, યાદ માં નથી રહેતાં તો પોતાને નીંચા સમજે છે. આ સ્કૂલ છે ને? બાળકો કહે છે બાબા, અમે ક્યારેક-ક્યારેક બહુજ ખુશી માં રહીએ છીએ, ક્યારેક-ક્યારેક ખુશી ઓછી થઈ જાય છે. તો બાબા હમણાં સમજાવતા રહે છે કે જો ખુશી માં રહેવા ઈચ્છો છો તો મનમનાભવ, પોતાને આત્મા સમજો અને બાપ ને પણ યાદ કરો. સામે પરમાત્મા ને જુઓ તો તે અકાળ તખ્ત પર બેઠેલાં છે. એમ ભાઈઓ ની તરફ પણ જુઓ, પોતાને આત્મા સમજીને પછી ભાઈ સાથે વાત કરો. ભાઈ ને આપણે જ્ઞાન આપીએ છીએ. બહેન નહીં, ભાઈ-ભાઈ. આત્માઓ ને જ્ઞાન આપીએ છીએ જો આ આદત તમારી પડી જશે તો તમારી જે વિકારી દૃષ્ટિ છે, જે તમને દગો આપે છે તે ધીરે-ધીરે બંધ થઈ જશે. આત્મા-આત્મા માં શું કરશે? જ્યારે દેહ-અભિમાન આવે છે ત્યારે પડે છે. ઘણાં કહે છે બાબા અમારી વિકારી આંખો છે. અચ્છા વિકારી આંખ ને હવે સિવિલ (નિર્વિકારી) આંખ બનાવો. બાપે આત્મા ને આપ્યું જ છે ત્રીજું નેત્ર. ત્રીજા નેત્ર થી જોશો તો પછી તમારી દેહ ને જોવાની આદત જતી રહેશે. બાબા બાળકો ને ડાયરેક્શન તો આપતા રહે છે, આમને (બ્રહ્મા ને) પણ એવું જ કહે છે. આ બાબા પણ દેહ માં આત્મા ને જોશે. તો આને જ કહેવાય છે રુહાની નોલેજ. જુઓ, પદ કેટલું ઊંચુ મેળવો છો! જબરજસ્ત પદ છે! તો પુરુષાર્થ પણ એવો કરવો જોઈએ. બાબા પણ સમજે છે કલ્પ પહેલાં ની જેમ બધાનો પુરુષાર્થ ચાલશે. કોઈ રાજા-રાણી બનશે, કોઈ પ્રજા માં ચાલ્યાં જશે. તો અહીંયા જ્યારે બેસીને નેષ્ઠા (યોગ) પણ કરાવો છો તો પોતાને આત્મા સમજી ને બીજા ની પણ ભ્રકુટી માં આત્મા ને જોતા રહેશો તો પછી એમની સર્વિસ સારી થશે. જે દેહી-અભિમાની બનીને બેસે છે તે આત્માઓ ને જ જુએ છે. આની ખૂબ પ્રેક્ટિસ કરો. અરે, ઊંચ પદ મેળવવું છે તો કાંઈક તો મહેનત કરશો ને? તો હમણાં આત્માઓ માટે આ જ મેહનત છે. આ રુહાની નોલેજ એક જ વખત મળે છે પછી ક્યારેય પણ નહીં મળશે. ન કળિયુગ માં, ન સતયુગ માં, ફક્ત સંગમયુગ માં તે પણ બ્રાહ્મણો ને. આ પાક્કું યાદ કરી લો. જ્યારે બ્રાહ્મણ બનશો ત્યારે દેવતા બનશો. બ્રાહ્મણ ન બન્યાં તો પછી દેવતા કેવી રીતે બનશો? આ સંગમયુગ માં જ આ મહેનત કરો છો. બીજા કોઈ સમયે આ નહીં કહેવાશે કે પોતાને આત્મા, બીજાને પણ આત્મા સમજી એમને જ્ઞાન આપો. બાપ જે સમજાવે છે એનાં પર વિચાર સાગર મંથન કરો. નક્કી કરો કે શું આ ઠીક છે, અમારા ફાયદા ની વાત છે? આપણને આદત પડી જશે કે બાપ ની જે શિક્ષા છે તે ભાઈઓ ને આપવાની છે, સ્ત્રી ને પણ આપવાની છે તો પુરુષ ને પણ આપવાની છે. આપવાનું તો આત્માઓ ને જ છે. આત્મા જ મેલ, ફિમેલ (પુરુષ-સ્ત્રી) બન્યો છે. બહેન-ભાઈ બન્યો છે.

બાપ કહે છે હું આપ બાળકો ને જ્ઞાન આપું છું. હું બાળકો ની તરફ, આત્માઓ ને જોઉં છું અને આત્માઓ પણ સમજે છે કે અમારા પરમાત્મા જે બાપ છે તે જ્ઞાન આપે છે તો આને કહેવાશે આ રુહાની અભિમાની બને છે. આને જ કહેવાય છે આધ્યાત્મિક જ્ઞાન ની લેણ-દેણ - આત્મા ની પરમાત્મા સાથે. તો આ બાપ શિક્ષા આપે છે કે જ્યારે પણ કોઈ વિઝીટર (મહેમાન) વગેરે આવે છે તો પણ પોતાને આત્મા સમજી, આત્મા ને બાપ નો પરિચય આપવાનો છે. આત્મા માં જ્ઞાન છે, શરીર માં નથી. તો એમને પણ આત્મા સમજીને જ જ્ઞાન આપવાનું છે. આનાથી એમને પણ ગમશે. જેમ કે આ જૌહર છે તમારા મુખ માં. આ જ્ઞાન ની તલવાર માં જૌહર ભરાઈ જશે કારણ કે દેહી-અભિમાની બનો છો ને? તો આ પણ પ્રેક્ટિસ કરીને જુઓ. બાબા કહે છે જ્જ (નક્કી) કરો - આ ઠીક છે? અને બાળકો માટે પણ આ કોઈ નવી વાત નથી કારણકે બાપ સમજાવે જ છે સહજ કરીને. ચક્ર લગાવ્યું, હવે નાટક પૂરું થાય છે, હવે બાબા ની યાદ માં રહે છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બની, સતોપ્રધાન દુનિયા નાં માલિક બને છે પછી એમ જ સીડી ઉતરે છે, જુઓ કેટલું સહજ બતાવે છે. દર ૫ હજાર વર્ષ પછી મારે આવવાનું હોય છે. ડ્રામા નાં પ્લાન અનુસાર હું બંધાયમાન છું. આવીને બાળકો ને બહુજ સહજ યાદ ની યાત્રા શીખવાડું છું. બાપ ની યાદ માં અંત મતિ સો ગતિ થઈ જશે, આ સમય નાં માટે છે. આ અંતકાળ છે. હમણાં આ સમયે બાપ બેસીને યુક્તિ બતાવે છે કે મામેકમ્ યાદ કરો તો સદ્દગતિ થઈ જશે. બાળકો પણ સમજે છે કે ભણતર થી આ બનીશ, ફલાણો બનીશ. આમાં પણ આ જ છે કે હું જઈને નવી દુનિયા માં દેવી-દેવતા બનીશ. કોઈ નવી વાત નથી, બાપ તો ઘડી-ઘડી કહે છે નથિંગન્યુ (કાંઈ જ નવું નથી). આ તો સીડી ઉતરવાની-ચઢવાની છે, જિન્ન ની કહાણી છે ને? એને સીડી ઉતરવાનું અને ચઢવાનું કામ આપી દીધું. આ નાટક જ છે ચઢવાનું અને ઉતરવાનું. યાદ ની યાત્રા થી બહુજ મજબૂત થઈ જશો એટલે ભિન્ન-ભિન્ન પ્રકાર થી બાપ બાળકો ને શીખવાડે છે કે બાળકો, હવે દેહી-અભિમાની બનો. હવે બધાએ પાછા જવાનું છે. આપ આત્માઓ પૂરાં ૮૪ જન્મ લઈને તમોપ્રધાન બની ગયા છો. ભારતવાસી જ સતો-રજો-તમો બને છે. બીજી કોઈ રાષ્ટ્રિયતા ને નહીં કહેવાશે કે પૂરાં ૮૪ જન્મ લીધાં છે. બાપે આવી ને બતાવ્યું છે નાટક માં દરેક નો પાર્ટ પોત-પોતાનો હોય છે. આત્મા કેટલો નાનો છે. સાયન્સદાનો (વૈજ્ઞાનિકો) ને આ સમજમાં નહીં આવશે કે આટલાં નાનાં આત્મા માં આ અવિનાશી પાર્ટ ભરેલો છે. આ છે સૌથી વન્ડરફુલ વાત. આ નાનકડો આત્મા અને પાર્ટ કેટલો ભજવે છે! તે પણ અવિનાશી! આ ડ્રામા પણ અવિનાશી છે અને પૂર્વ નિર્ધારિત છે. એવું કોઈ નહીં કહેશે કે ક્યારે બન્યો? ના. આ કુદરત છે. આ જ્ઞાન ખૂબ વન્ડરફુલ છે, ક્યારેય કોઈ આ જ્ઞાન બતાવી જ ન શકે. એવી કોઈની તાકાત જ નથી જે આ જ્ઞાન બતાવે.

તો હમણાં બાળકો ને બાપ દિવસે-દિવસે સમજાવતા રહે છે. હવે પ્રેક્ટિસ કરો કે અમે પોતાનાં ભાઈ આત્મા ને જ્ઞાન આપીએ છીએ, આપસમાન બનાવવા માટે. બાપ પાસે થી વારસો લેવા માટે કારણકે બધા આત્માઓ નો હક છે. બાબા આવે છે બધા આત્માઓ ને પોત-પોતાનો શાંતિ કે સુખ નો વારસો આપવાં. આપણે જ્યારે રાજધાની માં હોઈશું તો બાકી બધા શાંતિધામ માં હશે. પછી જય જયકાર થશે, અહીં સુખ જ સુખ હશે એટલે બાપ કહે છે પાવન બનવાનું છે. જેટલાં-જેટલાં તમે પવિત્ર બનો છો એટલી કશિશ (ખેંચાણ) થાય છે. જ્યારે તમે બિલકુલ પવિત્ર બની જાઓ છો તો ગાદીનશીન બની જાઓ છો. તો આ પ્રેક્ટિસ કરો. એવું નહીં સમજતા કે બસ આ સાંભળ્યું અને કાન થી કાઢ્યું. ના, આ પ્રેક્ટિસ વગર તમે ચાલી નહીં શકશો. પોતાને આત્મા સમજો, તે પણ આત્મા ભાઈ-ભાઈ ને બેસીને સમજાવો. રુહાની બાપ રુહાની બાળકો ને સમજાવે છે આને કહેવાય છે રુહાની આધ્યાત્મિક જ્ઞાન. આધ્યાત્મિક પિતા આપવા વાળા છે. જ્યારે બાળકો પૂરાં આધ્યાત્મિક બની જાય છે, એકદમ પવિત્ર બની જાય છે તો જઈને સતયુગી તખ્ત નાં માલિક બને છે. જે પ્યોર (પવિત્ર) નહીં બનશે તે માળા માં પણ નહીં આવશે. માળા નો પણ કોઈ અર્થ થતો હશે ને? માળા નું રહસ્ય બીજા કોઈ પણ નથી જાણતાં. માળા ને કેમ સિમરે (સ્મરણ કરે) છે? કારણકે બાપ ની બહુજ મદદ કરી છે, તો કેમ નહીં સિમરશે? તમારું સ્મરણ પણ થાય છે, તમારી પૂજા પણ થાય છે અને તમારા શરીર ને પણ પૂજાય છે. અને મારા તો ફક્ત આત્મા ને પૂજાય છે. જુઓ તમારી તો ડબલ પૂજા થાય છે, મારા કરતાં પણ વધારે. તમે જ્યારે દેવતા બનો છો તો દેવતાઓ ની પણ પૂજા કરે છે એટલે પૂજા માં પણ તમે આગળ, યાદગાર માં પણ તમે આગળ અને બાદશાહી માં પણ તમે આગળ. જુઓ, તમને કેટલાં ઊંચા બનાવું છું. તો જેમ પ્રિય બાળકો હોય છે, બહુજ પ્રેમ હોય છે તો બાળકો ને ખોળા માં, માથા પર પણ રાખે છે. બાબા એકદમ માથા પર રાખી દે છે. અચ્છા!

મીઠાં-મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ગાયન અને પૂજન યોગ્ય બનવા માટે આધ્યાત્મિક બનવાનું છે, આત્મા ને પવિત્ર બનાવવાનો છે. આત્મ-અભિમાની બનવાની મહેનત કરવાની છે.

2. મનમનાભવ નાં અભ્યાસ દ્વારા અપાર ખુશી માં રહેવાનું છે. સ્વયં ને આત્મા સમજીને આત્મા સાથે વાત કરવાની છે, આંખો ને સિવિલ (પવિત્ર) બનાવવાની છે.

વરદાન :-
માસ્ટર રચયિતા ની સ્ટેજ ( સ્થિતિ ) દ્વારા આપદાઓ માં પણ મનોરંજન નો અનુભવ કરવાવાળા સંપૂર્ણ યોગી ભવ

માસ્ટર રચયિતા ની સ્ટેજ પર સ્થિત રહેવાથી મોટા માં મોટી આપદા એક મનોરંજન નું દૃશ્ય અનુભવ થશે. જેમ મહાવિનાશ ની આપદા ને પણ સ્વર્ગ નો દરવાજો ખોલવાનું સાધન બતાવો છો, એમ કોઈ પણ પ્રકાર ની નાની-મોટી સમસ્યા અથવા આપદા મનોરંજન નું રુપ દેખાય, હાય-હાય નાં બદલે ઓહો શબ્દ નીકળે - દુઃખ પણ સુખ નાં રુપ માં અનુભવ થાય. દુઃખ-સુખ ની નોલેજ હોવા છતાં પણ તેનાં પ્રભાવ માં ન આવો, દુઃખ ને પણ બલિહારી સુખ નાં દિવસો આવવાની સમજો ત્યારે કહેવાશો સંપૂર્ણ યોગી.

સ્લોગન :-
દિલતખ્ત ને છોડી સાધારણ સંકલ્પ કરવા અર્થાત્ ધરતી માં પગ રાખવો.

અવ્યક્ત ઈશારા - હવે સંપન્ન અથવા કર્માતીત બનવાની ધૂન લગાવો

કર્મ કરતા તન નું પણ હલ્કાપણું, મન ની સ્થિતિ માં પણ હલ્કાપણું. કર્મ નું રિઝલ્ટ મન ને ખેંચી ન લે. જેટલું જ કાર્ય વધતું જાય એટલું જ હલ્કાપણું પણ વધતું જાય. કર્મ પોતાની તરફ આકર્ષિત ન કરે પરંતુ માલિક બનીને કર્મ કરાવવા વાળા કરાવી રહ્યાં છો અને કરવા વાળા નિમિત્ત બનીને કરી રહ્યાં છે - આ અભ્યાસ વધારો તો સંપન્ન કર્માતીત સહજ જ બની જશો.