25-05-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  04.09.2005    બાપદાદા મધુબન


“ શિક્ષા ની સાથે - સાથે ક્ષમા અને રહેમ

 

 ને અપનાવી લો , દુવાઓ આપો , દુવાઓ

 

 લો તો તમારું ઘર

 

 આશ્રમ બની જશે”


 


આજે બાપદાદા સર્વ બાળકો નાં મસ્તક માં પ્યોરિટી (પવિત્રતા) ની રેખાઓ જોઈ રહ્યાં છે કારણકે બ્રાહ્મણ જીવન નું ફાઉન્ડેશન જ છે પવિત્રતા. પવિત્રતા ની રેખાઓ કઈ છે, જાણો છો? પવિત્રતા સર્વ ને પ્રિય છે. પવિત્રતા સુખ, શાંતિ, પ્રેમ, આનંદ ની જનની છે. પવિત્રતા માનવ નો સાચ્ચો શૃંગાર છે. પવિત્રતા નથી તો માનવ જીવન નું મૂલ્ય નથી. જેવી રીતે જુઓ છો દેવતાઓ પવિત્ર છે, એટલે જ માનનીય અને પૂજનીય છે. પવિત્રતા નથી તો માનવ જીવન ને આજકાલ જોઈ રહ્યાં છો. બાપદાદાએ આપ સર્વ બાળકો નાં બ્રાહ્મણ જન્મ નું વરદાન આ જ આપ્યું - પવિત્ર ભવ, યોગી ભવ. જે આત્મા માં પવિત્રતા છે, એમની ચાલ, ચલન, ચહેરો ચમકે છે એટલે પવિત્રતા જ જીવન ને શ્રેષ્ઠ બનાવવા વાળી છે. હકીકત માં આપ સર્વ બાળકો નું આદિ સ્વરુપ જ પવિત્રતા છે. અનાદિ સ્વરુપ પણ પવિત્રતા છે. આવા પવિત્ર આત્માઓ ની વિશેષતાઓ એમનાં જીવન માં સદા પવિત્રતા ની પર્સનાલિટી દેખાય છે. પવિત્રતા ની રીયલ્ટી, પવિત્રતા ની રોયલ્ટી ચહેરા અને ચલન માં દેખાય છે. આ રેખાઓ જીવન નો શૃંગાર છે. રીયલ્ટી છે - હું અનાદિ આદિ સ્વરુપ આ સ્મૃતિ થી સમર્થ બની જાય છે. રોયલ્ટી છે - સ્વયં પણ સ્વમાન માં અને દરેક ને સન્માન આપીને ચાલવા વાળા. પર્સનાલિટી છે - સદા સંતુષ્ટતા અને પ્રસન્નતા. સ્વયં પણ અને અન્ય ને પણ સંતુષ્ટ કરવાવાળા. પવિત્રતા થી પ્રાપ્તિઓ પણ ખૂબ છે. બાપદાદાએ આપ સર્વ બાળકો ને કઈ-કઈ પ્રાપ્તિ કરાવી છે, તે જાણો છો ને? કેટલાં ખજાનાઓ થી ભરપૂર કર્યા છે, જો પ્રાપ્તિઓ ને સ્મૃતિ માં રાખો તો ભરપૂર થઈ જાઓ.

સૌથી પહેલો ખજાનો આપ્યો છે - જ્ઞાન નો ખજાનો. જેનાંથી જીવન માં રહેતાં દુઃખ-અશાંતિ થી મુક્ત થઈ જાઓ છો. વ્યર્થ સંકલ્પ, નેગેટીવ સંકલ્પ, વિકલ્પ, વિકર્મ થી મુક્ત થઈ જાઓ છો. જો કોઈ પણ વ્યર્થ સંકલ્પ અથવા વિકલ્પ આવે પણ છે, તો જ્ઞાન નાં બળ થી વિજયી બની જાઓ છો.

બીજો ખજાનો છે - યાદ, યોગ. જેનાંથી શક્તિઓ ની પ્રાપ્તિ થાય છે અને શક્તિઓ નાં આધારે સર્વ સમસ્યાઓ ને, સર્વ વિઘ્નો ને સહજ પાર કરી લો છો.

ત્રીજો ખજાનો છે - ધારણાઓ નો, જેનાંથી સર્વગુણો ની પ્રાપ્તિ થાય છે. અને ચોથો ખજાનો છે - સેવા નો, જેનાંથી સેવા કરવાથી, જેમની સેવા કરો છો એમની દુવાઓ મળે છે, ખુશી પ્રાપ્ત થાય છે.

આટલાં ખજાના બાપ દ્વારા બધા બાળકો ને પ્રાપ્ત થાય છે. બાપ બધા ને એક જેવા જ ખજાના આપે છે, કોઈને ઓછા, કોઈને વધારે નથી આપતાં. પરંતુ લેવાવાળા માં ફરક થઈ જાય છે. ઘણાં બાળકો તો ખજાના ને પ્રાપ્ત કરી ખાતા, પીતા, મોજ કરતા અને પછી મોજ માં ખતમ કરી દે છે. અને ઘણાં બાળકો ખાતા, પીતા, મોજ કરતા જમા પણ કરે છે. અને ઘણાં બાળકો કાર્ય માં પણ લગાવે પરંતુ વધારતા જાય છે. વધારવાની ચાવી છે - ખજાના ને સ્વયં નાં પ્રત્યે અને બીજાઓ નાં પ્રત્યે યુઝ કરવાં. જે યુઝ કરે છે તે વધારે છે. તો પોતે પોતાને પૂછો કે આ વિશેષ ખજાના જમા છે? જમા છે, શું કહેશો? હા કે થોડા-થોડા. જેમની પાસે આ ખજાના જમા છે તે સદા ભરપૂર રહે છે. જુઓ, કોઈ પણ વસ્તુ ભરપૂર રહે છે ને, તો હલચલ નથી થતી. જો ભરપૂર નથી હોતી તો હલચલ થાય છે, હલે છે. કોઈપણ વસ્તુ ને જો પૂરી રીતે ભરતા નથી તો તે હલે છે તો અહીં પણ જો સર્વ ખજાનાઓ થી ભરપૂર નથી તો હલચલ થાય છે. સદા આ નશો રહે કે બાપ નાં ખજાનાઓ મારો જન્મસિદ્ધ અધિકાર છે. બાપે આપ્યાં, તમે લીધાં તો બધા ખજાના કોનાં થયાં? તમારા થઈ ગયા ને? તો જેમની પાસે ખજાના છે, તે કેટલાં નશા માં રહે છે? જેવી રીતે નાનાં રાજા નો દિકરો રાજકુમાર હોય છે, ખબર પણ નથી કે બાપ ની પાસે કયો-કયો ખજાનો છે પરંતુ નશો રહે છે કે બાપ નાં ખજાના મારા ખજાના છે અને ખજાના ની ખુશી માં રહે છે. જો ખુશી ઓછી રહે છે તો એનું કારણ શું હોય છે? બાપે તો ખજાના આપ્યાં છે, સાંભળ્યું? પરંતુ એક છે સાંભળવા વાળા, બીજા છે સમાવવા વાળા, જે સમાવવા વાળા છે તે નશા માં રહે છે.

આજે નવાં-નવાં બાળકો પણ આવ્યાં છે. બાપદાદા આપ લક્કી બાળકો ને તમારા બધા નાં ભાગ્ય ની મુબારક આપી રહ્યાં છે. પોતાનાં ભાગ્ય ને ઓળખ્યું! ઓળખ્યું છે? પરમાત્મ-પ્રેમ, અવિનાશી-પ્રેમ જે ફક્ત એક જન્મ નથી ચાલતો, અનેક જન્મ સદા જ પ્રેમ કાયમ રહે છે કારણકે આ જે સમય ચાલી રહ્યો છે, તે સમય પણ સંગમયુગ ભાગ્યવાન યુગ છે. સતયુગ ને પણ ભાગ્યવાન કહેવાય છે પરંતુ વર્તમાન સંગમયુગ નો સમય એનાં કરતાં પણ ભાગ્યવાન છે. કેમ? આ સંગમયુગ માં જ બાપ દ્વારા અખંડ ભાગ્ય નું વરદાન, વારસો પ્રાપ્ત થાય છે. તો એવાં સંગમયુગ માં, ભાગ્યવાન સમય માં તમે બધા પોતાનાં ભાગ્ય લેવા માટે પહોંચી ગયા છો. બાપદાદા બાળકો ને ખૂબ એક સહજ પુરુષાર્થ ની વિધિ સંભળાવે છે - સહજ ઈચ્છો છો ને? મુશ્કેલ તો નથી ઈચ્છતા ને? આ બાળકો ને (જૂના ને) તો ભાગ્ય ની સહજ વિધિ મળી ગઈ છે. મળી છે ને? સૌથી સહજ, બીજું કાંઈ પણ નથી કરવાનું, ફક્ત એક વાત કરજો, એક વાત તો કરી શકો છો ને? હા કરો કે ના કરો! કહો હાજી. તો સૌથી સહજ વિધિ છે - અમૃતવેલા થી લઈને બધાને જે કોઈ મળે, એની દુવાઓ લો અને દુવાઓ આપો. ભલે ક્રોધી પણ આવે, પરંતુ તમે તેમને પણ દુવાઓ આપો અને દુવાઓ લો કારણકે દુવાઓ તીવ્ર પુરુષાર્થ નું ખૂબ સહજ યંત્ર છે. જેમ સાયન્સ માં રોકેટ છે ને - તો કેટલું જલ્દી કાર્ય કરી લે છે. એમ દુવાઓ આપવી અને દુવાઓ લેવી, આ પણ એક ખૂબ સહજ સાધન છે આગળ વધવાનું. અમૃતવેલા બાપ પાસે થી સહજ યાદ થી દુવાઓ લો અને આખો દિવસ દુવાઓ આપો અને દુવાઓ લો, આ કરી શકો છો? કરી શકો છો તો હાથ ઉઠાવો. કોઈ બદદુવા આપે તો શું કરશો? તમને વારંવાર હેરાન કરે તો? જુઓ, આપ પરમાત્મા નાં બાળકો, દાતા નાં બાળકો દાતા છો ને? માસ્ટર દાતા તો છો. તો દાતા નું કામ શું હોય છે? આપવાનું. તો સૌથી સારી વસ્તુ છે દુવાઓ આપવી. કેવાં પણ વ્યક્તિ હોય, પરંતુ છે તો તમારા ભાઈ, બહેન. પરમાત્મા નાં બાળકો તો ભાઈ-બહેન છો ને? તો પરમાત્મા નું બાળક છે, મારા ઈશ્વરીય ભાઈ છે, ઈશ્વરીય બહેન છે, એમને શું આપશો? બદદુવા આપશો શું? બાપ ક્યારેય બદદુવા આપે છે? આપશે? આપે છે? હા કે ના? હા-ના કરો. ખૂબ ખુશ રહેશો. કેમ? જો બદદુવા વાળા ને તમે દુવા આપશો, તે આપે ન આપે, પરંતુ તમે દુવા લેશો, તો દુઃખ કેમ થશે? બાપદાદા આપ આવેલા બાળકો ને એક વરદાન આપે છે - વરદાન યાદ રાખશો તો સદા ખુશ રહેશો. વરદાન સંભળાવે? સાંભળશો?

વરદાન છે - જો તમને કોઈ દુઃખ આપે તો પણ તમે લેતા નહીં, તે આપે પરંતુ તમે નહીં લેતાં. કારણકે આપવા વાળાએ આપી દીધું, પરંતુ લેવાવાળા તો તમે છો ને? આપવા વાળા, લેવા વાળા નથી. જો તે ખરાબ વસ્તુ આપે છે, દુઃખ આપે છે, અશાંતિ આપે છે, તો ખરાબ વસ્તુ છે ને? તમને દુઃખ પસંદ છે? નથી પસંદ ને? તો ખરાબ વસ્તુ થઈ ગઈ ને? તો ખરાબ વસ્તુ લેવાય છે શું? કોઈ તમને ખરાબ વસ્તુ આપે તો તમે લઈ લેશો? લેશો? નહીં લઈશું. તો કેમ લો છો? લઈ તો લો છો ને? દુઃખ લઈ લો છો તો દુઃખી કોણ થાય છે? આપ થાઓ છો કે તે થાય છે? લેવાવાળા વધારે દુઃખી થાય છે. જો હમણાં થી દુઃખ લેશો નહીં તો અડધું દુઃખ તો તમારું દૂર થઈ ગયું લેશો જ નહીં ને? અને આપ દુઃખ નાં બદલે એમને સુખ આપશો તો દુવાઓ મળશે ને? તો સુખી પણ રહેશો અને દુવાઓ નો ખજાનો પણ ભરપૂર થતો જશે. દરેક આત્મા થી, કેવા પણ હોય તમે દુવાઓ લો. શુભભાવના, શુભકામના રાખો. ક્યારેક-ક્યારેક શું થાય છે? કોઈ એવું કામ કરે છે ને, તો કોશિશ કરે છે શિક્ષા આપવાની. આને ઠીક કરી દઉં, શિક્ષા આપો છો. શિક્ષા આપો પરંતુ શિક્ષા આપવાની સર્વોત્તમ વિધિ છે કે ક્ષમા નું રુપ બનીને શિક્ષા આપો. ફક્ત શિક્ષા નહીં આપો, રહેમ, ક્ષમા પણ કરો અને શિક્ષા પણ આપો. બે શબ્દ યાદ રાખો - શિક્ષા અને ક્ષમા, રહેમ. જો રહેમદિલ બની ને એમને શિક્ષા આપશો તો તમારી શિક્ષા કામ કરશે. જો રહેમદિલ બનીને નહીં આપશો, તો શિક્ષા એક કાન થી સાંભળશે બીજા કાન થી નીકળી જશે. શિક્ષા ધારણ નહીં થશે. એવું છે ને? અનુભવ છે? તમે પણ કોઈ નાં શિક્ષક તો નથી બની જતાં. શિક્ષક બનતા જલ્દી આવડે છે, પરંતુ ક્ષમા કરવી, બંને સાથે-સાથે જોઈએ. હમણાં થી રહેમ, રહેમ કરવાની વિધિ છે શુભભાવના, શુભકામના. જેમ કહે છે ને સાચ્ચો-પ્રેમ, પથ્થર ને પણ પાણી કરી દે છે… એમ જ ક્ષમા સ્વરુપ થી શિક્ષા આપવા થી તમારું કાર્ય જે ઈચ્છો છો આ ન કરે, આ ન થાય, તે પ્રત્યક્ષ દેખાશે. તમારો રહેમદિલ બની શિક્ષા આપવાનો પ્રભાવ એમનું કઠોર દિલ પણ પરિવર્તન થઈ જશે. તો શું વરદાન મળ્યું? નથી દુઃખ આપવાનું, નથી દુઃખ લેવાનું. પસંદ છે? પસંદ છે તો હવે લેતા નહીં. ભૂલ નહીં કરતાં. જ્યારે બાપ દુઃખ નથી આપતા તો ફોલો ફાધર તો કરવાનું છે ને? કરી રહ્યાં છો? ક્યારેક-ક્યારેક થોડું ખીજાઓ છો? ખીજાતા નહીં. રહેમ કરો. રહેમ ની સાથે શિક્ષા આપો. વારંવાર કોઈ ને ખીજાવાથી વધારે જ આત્મા જે છે ને, તે દુશ્મન બની જાય છે. નફરત આવી જાય છે. પરમાત્મ-બાળકો છો ને? તો જેમ બાપ પતિત ને પણ પાવન બનાવવા વાળા છે, તો તમે દુઃખી ને સુખ ન આપી શકો? હવે જઈને ટ્રાયલ કરજો, ટ્રાયલ કરશો ને? તો પહેલાં ચેરિટી બિગન્સ એટ હોમ, પરિવાર માં જો કોઈ દુઃખ આપે, તો પણ દુઃખ લેતા નહીં. દુવાઓ આપજો, રહેમદિલ બનજો, પહેલાં ઘર વાળા ને કરો. તમારા ઘર નો પ્રભાવ મોહલ્લા માં પડશે, મોહલ્લા નો પ્રભાવ દેશ માં પડશે, દેશ નો પ્રભાવ વિશ્વ માં પડશે. સહજ છે ને? પોતાનાં પરિવાર માં શરુ કરો કારણકે જુઓ એક પણ જો ક્રોધ કરે છે તો ઘર નું વાતાવરણ શું થઈ જાય છે? ઘર લાગે છે કે યુદ્ધ નું મેદાન લાગે છે? તે સમયે સારું લાગે છે? નથી લાગતું ને?

તમારા લોકો માટે પણ છે (આજે વી.આઈ.પી. ની સાથે મધુબન વાળા સમર્પિત ભાઈ-બહેનો પણ સામે બેઠાં છે) પોત-પોતાનાં સાથીઓ સાથે, પોત-પોતાનાં કાર્યકર્તાઓથી ન દુઃખ લેતા, ન દુઃખ દેતાં. દુવાઓ આપજો અને દુવાઓ લેજો. જો તમે અધિકાર થી એવાં સમય પર પણ દિલ થી મારા બાબા કહેશો, પરમાત્મા બાબા, મારા બાબા… તો કહેવત છે કે ભગવાન સદા હાજર છે. જો તમે દિલ થી, અધિકાર રુપ માં એવાં સમય પર મારા બાબા કહ્યું, તો બાપ હજુર હાજર થઈ જશે, કારણકે બાપ કોનાં માટે છે? બાળકો માટે તો છે. અને અધિકારી બાળકો ને બાપ સહયોગ ન આપે, આ બની નથી શકતું. અસંભવ. તો પરિવર્તન કરીને જજો. જેવાં આવ્યાં, તેવાં નહીં જતાં. પરિવર્તન કરીને જાજો કારણકે જુઓ, આટલો ખર્ચો કરીને આવ્યાં છો, ટિકિટ તો લાગી ને? ખર્ચો પણ કર્યો, સમય પણ આપ્યો તો એની વેલ્યુ તો રાખશો ને? તો વેલ્યુ છે - સ્વ-પરિવર્તન થી પહેલાં ઘર નું પરિવર્તન, પછી વિશ્વ નું, દેશ નું પરિવર્તન. તમારું ઘર આશ્રમ બની જશે. ઘર નહીં, આશ્રમ. આમ શાસ્ત્ર પણ કહે છે ગૃહસ્થ આશ્રમ, પરંતુ આજે આશ્રમ નથી. આશ્રમ અલગ છે, ઘર અલગ છે. તો ઘર ને આશ્રમ બનાવજો. દુવાઓ આપવી અને લેવી આશ્રમ નું કાર્ય છે. તમારું ઘર મંદિર બની જશે. મંદિર માં મૂર્તિ શું કરે છે? દુવાઓ આપે છે ને? મૂર્તિ ની આગળ જઈને શું કહે છે? દુવા આપો. મર્સી, મર્સી કહીને બુમો પાડે છે. તો તમારે પણ શું આપવાનું છે? દુવા. ઈશ્વરીય-પ્રેમ આપો, આત્મિક-પ્રેમ. શરીર નો પ્રેમ નહીં આત્મિક પ્રેમ. આજે પ્રેમ છે તો સ્વાર્થ નો પ્રેમ છે. સાચાં દિલ નો પ્રેમ નથી. સ્વાર્થ હશે તો પ્રેમ આપશે, સ્વાર્થ નહીં હશે તો ડોન્ટ કેયર. તો તમે શું કરશો? આત્મિક-પ્રેમ આપજો, દુવા આપજો, દુઃખ ન લેતાં, ન દુઃખ આપતાં. તમને ચાન્સ મળ્યો છે, બાપદાદા ને પણ ખુશી છે. આટલાં જે પણ બધા આવ્યાં છે, (ભારત નાં ઓછા માં ઓછા ૨૫૦ વી.આઈ.પી. રિટ્રીટ માં આવેલા છે) આટલાં ઘર તો આશ્રમ બનશે ને? બનાવશો ને? પાક્કું? કે થોડું-થોડું કાચ્ચું? જે સમજે છે કાંઈ પણ થઈ જાય, થોડું સહન તો કરવું પડશે, સમાવવા ની શક્તિ કાર્ય માં લગાવવી પડશે, પરંતુ સહનશકિત નું ફળ ખૂબ મીઠું હોય છે. સહન કરવું પડે છે પરંતુ ફળ ખૂબ મીઠું હોય છે. તો જે પાક્કો વાયદો કરે છે, ઘર-ઘર ને સ્વર્ગ બનાવીશું, મંદિર બનાવીશું, આશ્રમ બનાવીશું, તે હાથ ઉઠાવો. દેખાદેખી માં નહીં ઉઠાવતા કારણકે બાપદાદા હિસાબ લેશે ને પછી? જોઈને નહીં ઉઠાવતાં. સાચ્ચો-સાચ્ચો મન નો હાથ, મન થી હાથ ઉઠાવો. અચ્છા. દાદીઓ, આમને આમની શું પ્રાઈઝ આપશો? હા બોલો, દાદી આટલાં મંદિર બની જશે તો તમે આમને શું પ્રાઈઝ આપશો? (પોતાનાં ઘરવાળા ને લઈ આવે) આ તો પ્રાઈઝ ન આપી, આ તો કામ સંભળાવી દીધું. (બાબા જે આજ્ઞા કરશે) જુઓ, પ્રાઈઝ તો તમને મળી જશે, કોઈ મોટી વાત નથી, પરંતુ… પરંતુ છે? પરંતુ બોલો. તમે ગયા પછી તમારી ધારણા થી પરિવર્તન કરવું અને ૧૫ દિવસ પછી, મહિના પછી પોતાનું રીઝલ્ટ લખજો, જે એક મહિનો પણ દુઃખ નહીં લેશે, નહીં આપશે, તેમને ખૂબ સારી પ્રાઈઝ આપશે. જો તમે આવશો તો મુબારક છે, જો નહીં આવી શકો તો પણ સેન્ટર પર મોકલશે. અચ્છા.

ચારેય તરફ નાં દેશ-વિદેશ નાં બાળકો ની યાદ બાપદાદા ને મળી છે. ભલે ફોન દ્વારા યાદ મોકલી છે, ભલે પત્ર દ્વારા કે દિલ માં યાદ કર્યા છે, તો બાપદાદા બધા બાળકો ને ભલે ભારત નાં કે વિદેશ નાં રિટર્ન માં દુવાઓ અને યાદપ્યાર પદમગુણા આપી રહ્યાં છે.

ચારેય તરફ નાં પરમાત્મ-પ્રેમ નાં અધિકારી બાળકો ને, ચારેય તરફ નાં સર્વ ખજાનાઓ થી ભરપૂર, નિર્વિઘ્ન, નિર્વિકલ્પ, નિર-વ્યર્થ સંકલ્પ રહેવા વાળા શ્રેષ્ઠ આત્માઓ ને, સાથે-સાથે સર્વ-પરિવર્તન કરવા અને કરાવવાનાં ઉમંગ-ઉત્સાહ માં ઉડવા વાળા બાળકો ને, સાથે-સાથે બાપદાદા ને સાચાં દિલ નાં સમાચાર આપવા વાળા, સાચાં દિલવાળા બાળકો ને વિશેષ દિલારામ નાં રુપ માં, બાપ નાં રુપ માં, શિક્ષક નાં રુપ માં, સદગુરુ નાં રુપ માં પદમગુણા યાદ-પ્યાર અને નમસ્તે.

વરદાન :-
ભટકતા આત્માઓ ને યથાર્થ મંઝિલ દેખાડવા વાળા ચૈતન્ય લાઈટ - માઈટ હાઉસ ભવ

કોઈપણ ભટકતા આત્મા ને યથાર્થ મંઝિલ દેખાડવા માટે ચૈતન્ય લાઈટ-માઈટ હાઉસ બનો. એનાં માટે બે વાતો ધ્યાન પર રહે - ૧. દરેક આત્મા ની ઈચ્છા ને પારખવી, જેમ યોગ્ય ડોકટર એને કહેવાય છે જે નસ (નાડી) ને જાણે છે, એમ પારખવાની શક્તિ ને સદા યુઝ કરવી. ૨. સદા પોતાની પાસે સર્વ ખજાનાઓ નો અનુભવ કાયમ (સદા) રાખજો. સદા આ લક્ષ રાખજો કે સંભળાવવા નું નથી પરંતુ સર્વ સંબંધો નો, સર્વ શક્તિઓ નો અનુભવ કરાવવાનો છે.

સ્લોગન :-
બીજાઓ નું કરેક્શન કરવાને બદલે એક બાપ સાથે કનેક્શન રાખો.

અવ્યક્ત ઈશારા - રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો

પોતાનું નિજી સ્વરુપ કે વરદાની સ્વરુપ સદા સ્મૃતિ માં રહે તો અપવિત્રતા અને વિસ્મૃતિ નું નામ-નિશાન સદા સમાપ્ત થઈ જશે. વિસ્મૃતિ કે અપવિત્રતા શું હોય છે, હવે એની અવિદ્યા હોવી જોઈએ કારણકે આ સંસ્કાર તથા સ્વરુપ તમારા નથી પરંતુ તમારા પૂર્વ-જન્મ નાં હતાં. હમણાં તમે બ્રાહ્મણ છો, આ તો શુદ્રો નાં સંસ્કાર કે સ્વરુપ છે, એવી રીતે પોતાનાં થી ભિન્ન અર્થાત્ બીજા નાં સંસ્કાર અનુભવ થવા, આને કહેવાય છે - ન્યારા અને પ્યારા.